Thursday, July 21, 2016

માણસની સમયપાલનની શિસ્તનો સંબંધ તેના દેશના વિકાસ સાથે હોય છે-inf by Ashok Hindocha M-94262 54999

માણસની સમયપાલનની શિસ્તનો સંબંધ તેના દેશના વિકાસ સાથે હોય છે

- આશુ પટેલ
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનન્દ સરસ્વતીના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે... સ્વામીજી આર્યસમાજના પ્રચાર અર્થે અવારનવાર પ્રવાસો કરતા રહેતા હતા અને પ્રવચનો આપવા જતા હતા. તેઓ બહાર ગયા હોય ત્યારે તેમની સંસ્થાના કર્મચારીઓ કામચોરી કરતા હતા અને વહેલા ઘરભેગા થઈ જતા હતા. એક વાર સ્વામીજીને કોઈ જગ્યાએ પ્રવચન આપવા જવાનું હતું. તેઓ નિશ્ર્ચિત સમયે પહોંચી જવા માટે સંસ્થામાંથી બહાર નીકળ્યા. એ વખતે તેમની સંસ્થાના કર્મચારીઓને છૂટવાના સમયને વાર હતી, પણ સ્વામીજીને નીકળતા જોઈને કર્મચારીઓ પણ સંસ્થામાંથી વહેલા નીકળવા લાગ્યા. સ્વામીજીને આશ્ર્ચર્ય થયું. તેમણે સંસ્થાના મંત્રીને કહીને એ બધાને રોકાવ્યા અને પછી મંત્રી પાસે ખુલાસો માગ્યો કે આ બધા કર્મચારીઓ કેમ વહેલા જઈ રહ્યા હતા..? મંત્રીએ ખુલાસો આપ્યો કે આ તો સામાન્ય પ્રથા છે. તમારી ગેરહાજરી હોય ત્યારે કર્મચારીઓ સંસ્થામાંથી વહેલા નીકળી જાય છે. સ્વામીજીએ મંત્રી અને કર્મચારીઓને કહ્યું આ તદ્દન અયોગ્ય છે. તમે ખોટું કરી રહ્યા છો અને એ માટે તમને કોઈ ગુનાહિત લાગણી પણ થતી નથી..

મંત્રી અને કર્મચારીઓ નતમસ્તકે ઊભા રહ્યા. સ્વામીજીએ તેમને કહ્યું: ‘આપણો દેશ પછાત રહ્યો છે એનું મોટું કારણ એ છે કે આપણા દેશના લોકો સમયનું મહત્ત્વ સમજતા નથી. જે દેશના લોકો સમયની મહત્તા ન સમજે એ દેશનો વિકાસ થઈ શકતો નથી. તમારે સમયની કિંમત સમજવી જોઈએ. હું હાજર હોઉં કે ન હોઉં તમારે સમયનું પાલન કરવું જ જોઈએ એ દિવસથી સ્વામી દયાનન્દ સરસ્વતી હાજર હોય કે ન હોય, તેમની સંસ્થામાં સમયના પાલનનો ભંગ બંધ થઈ ગયો. આપણા દેશના મોટા ભાગના સરકારી કર્મચારીઓ સમયને પગની જૂતી સમાન ગણીને કામચોરી કરે છે. એમને બોચીએથી ઝાલીને નિત્ય પ્રાત:કાળે આ કિસ્સાનું પઠન કરાવવું જોઈએ... (courtsy : mumbai samachar)

No comments: